(આ પોસ્ટ વાંચતા પહેલા વાંચો મારી મૂંઝવણ નીચેની લીંક પર)
“ટીચર.. એ ટીચર.. ક્યાં ખોવાઈ ગયા? મારો પ્રોજેક્ટ તો જુઓ.” શાહબાઝ બોલ્યો અને પોતાનો પ્રોજેક્ટ બતાવ્યો.
જે વિદ્યાર્થીને અત્યાર સુધીમાં જેટલાં spelling (ઉચ્ચાર-અર્થ) પાકા થઈ ગયાં હોય તેની યાદી dictionary સ્વરૂપે બનાવવાનો પ્રોજેક્ટ મેં સોંપેલો. આ.. હા.. હા.. કેટલું ટાઈમ મેનેજમેન્ટ કરતો હશે એ.. ફેસબુક પર એક વ્યક્તિએ જીવનનું ગુઢ રહસ્ય દર્શાવતું એક વાક્ય મુકેલું અને નીચે તેના લેખકના નામમાં કેટરીના કૈફ એવું લખેલું. મને થયું શું ખરેખર કેટરીનાએ એ વાક્ય લખેલું હશે..? થોડા દિવસો પહેલા “કરીના કપૂરની તેના બાળક સાથેની પ્રથમ સેલ્ફી” એવાં કેપ્શન સાથે એક ફોટો ફરતો હતો. ફોટામાં કરીનાની બાજુમાં બેઠેલી આયાના ખોળામાં તેનું બાળક હતું.!! આવા એક્ટર્સ આપણા ‘આદર્શ’ વ્યક્તિઓ ? ના.. મારા માટે તો ‘આદર્શ’ વ્યક્તિઓની કેટેગરીમાં આવા છોકરા (ભલે આપણાથી નાના રહ્યાં) પ્રથમ આવે.
આજકાલ કેટકેટલા આંદોલનો થતા આપણે જોઈએ છીએ. પણ મને તો આવા છોકરાઓ માટે આંદોલન કરવાનું મન થાય. ‘બાળમજૂરી’ આપણે રોકી ન શકીએ તો કંઇ નહિ પણ આવા બાળકો માટે કંઇક તો ‘કરીએ’. આથી આ આખો આર્ટિકલ બ્લેક અક્ષરોથી લખીને (એટલે કે કાળી પટ્ટી બાંધીને) મેં આંદોલન શરૂ કરી દીધું છે. પણ હું એક કરૂં એ થોડું આંદોલન કહેવાય..? આ આંદોલનમાં મને સાથ આપવા માટે કોઈએ રોડ ઉપર ઉતરીને હાય.. હાય.. હોય.. હોય.. કરવાની કે ક્યાંય જવાની જરૂર નથી. તો શું કરવાનું..?
(૧) કોઈ જવાબદાર નાગરિક શું કરી શકે? –
આ ડૉકટરએ એક રીતે એ બાળકને બાળમજૂરી તરફ વળતો રોક્યો અને શિક્ષણ તરફ વાળ્યો છે. આર્થિક મદદ ન કરી શકીએ તો સમયનું દાન કરીએ. કંઇક જમાડીને આનંદ મેળવીએ. જો ખરેખર આવા બાળકોની સ્થિતિ આપણને ખટકતી જ હોય તો થોડું ટાઇમ મેનેજમેન્ટ કરીને આપણે ખુદ તેમને ભણાવીએ. આવું કરવા માટે ‘શિક્ષક’નું લેબલ હોવું જરૂરી નથી. (એટલીસ્ટ અક્ષરજ્ઞાન તો કોઈ પણ વ્યક્તિ આપી શકે.) આવા બાળકોને શોધવા કોઈપણ સંસ્થા કે શાળામાં જવાની જરૂર જ નથી. જો આપણે રોબોટ જેવી જિંદગી નહિ જીવતા હોઈએ તો આપણી આજુ-બાજુ જ આવા ચહેરાઓ જોવા મળશે. આપણી પર્સનલ સેલ્ફીઝ જોઇને કોઈ અજાણી વ્યક્તિ ‘આપણા ફોટા’ને લાઇક કરે તેના કરતાં આ અજાણ્યા બાળકો ‘આપણને’ લાઇક કરે એનો આનંદ અનેરો જ હોય છે.. (જો કંઇ ‘કરી’ ન શકીએને તો) એમના દયામણા ફોટો કે પંક્તિઓ ‘ફેરવી ફેરવી’ને તેમનો તમાશો બનાવવાનો આપણને કોઈ અધિકાર નથી. શું એ લોકો એમની જિંદગી સન્માનથી જીવવા નહિ માગતા હોય.?
(૨) શિક્ષક શું કરી શકે?
(આમ તો જવાબદાર નાગરિકમાં શિક્ષક આવી જ જાય પણ બાળમજૂરીનો મુદ્દો શિક્ષણને ખાસ સ્પર્શે છે આથી અલગથી લખ્યો છે.)
(આમ તો જવાબદાર નાગરિકમાં શિક્ષક આવી જ જાય પણ બાળમજૂરીનો મુદ્દો શિક્ષણને ખાસ સ્પર્શે છે આથી અલગથી લખ્યો છે.)
સૌ પ્રથમ તો “આ ને કાંઈ નો હોય..” બાળકો વિશેના આવા આવા મંતવ્યો બોલીને, કામ કરતાં શિક્ષકો પર પોતાનું સામ્રાજ્ય જમાવતા સરકારના જમાઈઓને સાંભળવાનું બંધ કરી દઈએ અને આપણે આપણું કામ ચાલુ રાખીએ. (ઓલું ભજન સાંભળ્યું છે ને..- “કર્મનો સંગાથી કોઈ નથી..” ) માત્ર અમુક ટકા ‘કર્મચારીઓ’ને કારણે જ આજે સરકારી શાળાઓ તરફ સમાજ શંકાની દૃષ્ટિથી જુએ છે..
“આ છોકરાઓને યાદ નથી રહેતું.” એવી ફરિયાદ કરતાં શિક્ષકો એક હકીકત સ્વીકારીને મથવા લાગે કે, ‘એમને યાદ ન પણ રહે..’ કોણ જાણે એમાંથી કેટલાક આજ બપોરથી કાલ બપોર એમ માત્ર મદ્યાહન ભોજનનું જમીને પણ દિવસો કાઢતા હશે..!! આ હકીકત આપણે સ્વીકારી ન શકીએ તો આપણે આપણા સંતાનોની ‘યાદશક્તિ વધારવા’ માટે જે કાજુ બદામ મહીને બંધાવેલા છે ને એમાંથી થોડા આ બાળકો માટે પણ લાવીએ.. (કેમ ભર ઉનાળે ટાઢ વાઈ ગઈ..??)
આ સત્રની શરૂઆતમાં સંસ્કૃત પાઠ-૨ના સ્વાધ્યાયમાં “તમારાં ઘરમાં બનતી વાનગીઓની યાદી બનાવો.” એ સુચના મુજબ વિદ્યાર્થીઓને કરવા કહ્યું. તો વિશાલ કહે, ”ટીચર, ખીચડી લખાય..?(!!!) ત્યાં તો એક છોકરો બોલી ઉઠ્યો, “બુદ્ધુ, એ વાનગી ન કહેવાય..” આવું બોલ્યાં બાદ કેટલીબધી વાનગીઓના નામ તે બોલ્યો. મેં તેને રોકતા કહ્યું, “હોટેલની નહિ ઘરમાં બનતી વાનગીઓના નામ લખવાના છે હો..” તો કહે, “હા.. ટીચર, ‘હું’ આ બધી જ વાનગીઓ જાતે ઘરે જ બનાવી શકું છું. અમારા એક સંબંધીની રેકડીમાં ડીશ ધોવાના કામમાં મદદ કરવા ક્યારેક જાવુંને તો શીખી ગયો.. અને હા.. ટીચર, ક્યારેક વધે ને તો એ ઘરે પણ લઇ આવવા દે છે. તો આમ જોઈને અને ચાખીને બનાવતા પણ શીખી ગયો છું...” આ બધું તે ગર્વથી બોલ્યો હતો હો...(!!)
કામ કરવા ન જઈ અને આપણી સામે બેઠેલા, રોટલા કરતાં ભણતરને મહત્વ આપતા બાળકોનો “આપણે” ટાઇમ ન બગાડીએ અને પૂરેપૂરો સમય (નોકરીની કલાકો) તેમને ફાળવીએ. જેમની યાદશક્તિ છે એમને તો ભણાવીએ.. બાકીના બાળકોને પૂતળાની જેમ બેસાડી રાખવા કરતાં વાર્તાઓ કરીએ, મોજ મસ્તી કરાવીએ, હસાવીએ, તેમના અસ્તિત્વનું આપણને મહત્વ છે એવો અહેસાસ કરાવીએ... કાંઈ નહિ તો સારા વિચારો, સારા શબ્દોનું અમૃત તેમના કાનમાં રેડી તેમને જીવંતતા બક્ષીએ. શિક્ષકો પાસે સારા શબ્દો સંભાળવા તેમના કાન કેટલા તરસ્યા છે એ તેમની આંખો પરથી જ ખબર પડી જાય છે..
આપણી સામે બેઠા હોય ત્યારે શિક્ષણ ન આપીએ અને પછી ઉચ્ચ અભ્યાસ માટે રોકડ રકમના દાનના ઢોંગને રહેવા દઈએ...
બસ... શિક્ષકો આટલુંય કરેને, તોય મોટામાં મોટું યોગદાન ગણાશે..!!
(૩) સરકારશ્રી શું કરી શકે ?
(ત્રીજો આ પોઈન્ટ અને મહત્વનો પોઈન્ટ હું આ બાબતે શું કરું છું તે હવે પછીની પોસ્ટ ‘મૂંઝવણ નિવારણ-૨’ માં વાંચો આ લિંક પર http://truptan.blogspot.in/2017/04/blog-post.html)











